વઘાસિયા ટોલનાકાના કર્મચારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગઈકાલે સોમવારે બપોરે વઘાસિયા ટોલનાકામાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાને દાઉદી વ્હોરા સમાજની ધાર્મિક જગ્યામાં ઘુસી લાકડી વડે બારી, ઘડિયાળ તોડી નાખતા વ્હોરા સમાજના અગ્રણીઓએ આ યુવાનને પકડી પોલીસ હવાલે કરી ગુન્હો નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર દાઉદી વ્હોરા સમાજના અગ્રણી મનસુર મોઈઝભાઈ લાકડાવાલાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં વઘાસિયા ટોલનાકામાં કામ કરતા મનીષ શાહ રહે.ગોપાલગંજ, બીહાર નામના શખ્સ વિરુદ્ધ વાકાનેર ચાવડીચોક પાસે આવેલ તૈયબી મસ્જીદમાં ઘુસી મસ્જિદની બારી, ઘડિયાળમાં લાકડી વડે કાચ ફોડી નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. વધુમાં આ શખ્સ દ્વારા બપોરના સમયે મસ્જિદમાં કરેલ તોડફોડ અટકાવવા પ્રયાસ કરનાર વ્હોરા સમાજના લોકો સાથે અભદ્ર વ્યવહાર કરતા એકત્રિત થયેલા લોકોએ યુવાનને પકડી પોલીસને સોંપ્યો હતો જ્યાં મનસુરભાઈ લાકડાવાલાની ફરિયાદને આધારે પોલીસે આરોપી મનીષ શાહ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૪૭,૪૨૭, ૫૦૪,જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.