મૃતક યુવાનની પત્નીએ પોતાના પતિને મરવા મજબૂર કર્યાની વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરમાં થોડા દિવસો પહેલા એક યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યા બાદ મૃતકની પત્નીએ વ્યાજખોર શખ્સ સામે પોતાના પતિને મરવા મજબૂર કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી સલમાબેન ફીરોજભાઇ રાજાણી (ઉ.વ ૩૫ રહે.વાંકાનેર જીનપરા જુના ચંદ્રપુર રોડ ઉપર તા. વાંકાનેર) વાળીએ આરોપી સુરેશભાઇ બારોટ (રહે વાંકાનેર ભાટીયા શેરી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પતિ મરણ જનાર ફીરોજભાઇ પ્યારઅલી રાજાણીએ આરોપી પાસેથી ત્રણ વર્ષ પહેલા રૂપીયા બે લાખ માસીક દસ ટકાના વ્યાજ દરથી લીધેલ હોય ફરિયાદીના પતિ જે વ્યાજની રકમ સમયસર આરોપીને આપી દેતા હોય પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોય ફરિયાદીના પતિ આરોપીને વ્યાજની રકમ ચુકવી શકેલ ન હોય આરોપીએ વ્યાજની તથા મુદલની રકમની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના પતિને ધાક ધમકી આપી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરિયાદીના પતિ ફીરોજભાઇ (ઉ.વ ૪૦) વાળાએ ગત તા.૪ ના રોજ પોતાની બકાલાની દુકાનમા છતમા ફીટ કરેલ પંખા સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. અને આ વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.