67 - વાંકાનેર બેઠક ઉપર અત્યાર સુધીમાં કુલ 62 ફોર્મ ઉપડી ગયા વાંકાનેર : આગામી 1 ડિસેમ્બરના રોજ યોજનાર પ્રથમ તબક્કાની વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ ગરમાવો આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાની 67- વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 62 ઉમેદવારીપત્રો ઉપડી ગયા છે અને આજે બે નરેન્દ્ર નામના અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરીને રજૂ કરી જિલ્લામા નામાંકનનું ખાતું ખોલાવ્યું છે. ગુજરાત વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે આગામી તા.1ના રોજ મતદાન થનાર હોય ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં અત્યાર સુધીમાં ત્રણેય બેઠકોમાં કુલ 141 ઉમેદવારીપત્ર ઉપડયા છે અને સૌથી વધુ 67 - વાંકાનેરમાં ફોર્મ ઉપડયા છે ત્યારે આજે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરી નામાંકન પ્રક્રિયામાં ખાતું ખોલાવ્યું છે. વધુમા આજે વાંકાનેર બેઠકના રિટર્નિંગ ઓફીસર સમક્ષ ખેરવા ગામના રહેવાસી અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ નટુભા ઝાલા અને ખીજડિયા ગામના રહેવાસી નરેન્દ્ર વિરાભાઈ દેગડા નામના ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.