લોકશાહી ઢબે થયેલ ગુપ્તમતદાનમાં ઘનશ્યામભાઈ દેથરીયાને 59 અને સંદીપ આદ્રોજાને 50 મત મળ્યા મોરબી : મોરબી જિલ્લાના 4000 જેટલા શિક્ષકોના વહીવટી પ્રશ્નોને વાચા આપવા અને ઉકેલવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રચના કરવામાં આવેલ છે.જેની બંધારણના નિયમ મુજબ દર ત્રણ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. જે મુજબ આજ રોજ યોજાયેલી ચૂંટણીમાં ઘનશ્યામભાઈ દેથરીયાની પેનલનો વિજય થયો છે. મોરબી જિલ્લાના 4000 શિક્ષકો સૌથી પહેલાં પોતાની 104 જેટલી તાલુકા શાળામાંથી 110 સંઘના પ્રતિનિધિ ચૂંટે છે. એમાંથી પાંચયે તાલુકા અને મોરબી શહેરના ઘટક સંઘની રચના થાય છે.આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 110 સભ્યોની જિલ્લાની મહાસમિતિની રચના થાય છે.આ મહાસમિતિ પોતાનો નેતા ચૂંટે છે એ અન્વયે ટંકારા તાલુકાની હરબટિયારી પ્રા. શાળા ખાતે રવિવારના રોજ મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી જેમાં ઘનશ્યામભાઈ દેથરીયા અને સંદીપ આદ્રોજા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.લોકશાહી ઢબે થયેલ ગુપ્તમતદાનમાં ઘનશ્યામભાઈ દેથરીયાને 59 અને સંદીપ આદ્રોજાને 50 મત મળતા ઘનશ્યામભાઈ દેથરીયાની પેનલનો વિજય થયેલ છે. વિજયબાદ ઘનશ્યામ દેથરીયાએ સૌનો આભાર પ્રગટ કરતા જણાવ્યું કે ચૂંટણીમાં હાર જીત ભૂલી,નાત જાતના ભેદ ભૂલી, દરેક સાથે સમતા, સમાનતા અને બધુંતાની ભાવના રાખી, શિક્ષકોના કામ કરવામાં આવશે. અને જેના માટે શિક્ષક છે એવા બાળદેવોના કલ્યાણ અર્થે જિલ્લાના તમામ શિક્ષકો કટિબદ્ધ રહેશે. સંગઠન, શિક્ષણ માટે સૌ એક બનીને રહીશું,કામ કરીશું અને મોરબી જિલ્લાના શિક્ષણને અવલ્લ દરજ્જે પહોંચાડીશું. એવી વાતને ઉપસ્થિત સૌ કોઈએ કરકમલ ધ્વનિથી વધાવી લીધી હતી.