છ પોલીસ જવાનોની ટીમે દિલ્હી જઈને ફાઈનાન્સ ઓફિસર બનેલા આરોપીની અટકાયત કરી : હજુ અન્ય બે આરોપીઓની શોધખોળ મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિને કેન્દ્ર સરકારમાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને રૂ. 13.60 કરોડની છેતરપીંડી કરવાના કેસમાં પોલીસે ફરિયાદના આધારે ડોકટર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે દિલ્હી જઈને વધુ એક આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ ઉપર દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ વિજયભાઈ નાથાભાઇ ગોપાણીએ ડો.વસંતભાઈ કેસુભાઈ ભોજવીયા તેમજ અન્ય પાંચ શખ્સોની સામે 13.60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અગાઉ ડો. વસંત ભોજવીયા અને અને જયેશ સોલંકીની ધરપકડ કરી હતી અને બાકીના આરોપીઓની કળી મેળવી હતી. બાદમાં પોલીસની ટીમે દિલ્હી જઈને આ ગુનામાં પોતાની ઓળખ ફાયનાન્સ ઓફિસર તરીકે આપનાર મૂળ બિહારી અને હાલમાં અમરિતપૂરીમાં રહેતા અમરકુમાર રામકુમાર ઠાકુરની ધરપકડ કરી હતી. હજુ આ કેસના બે આરોપી રચનાસિંઘ અને પ્રદીપ કારેલીયાને પકડી પાડવા માટે શોધખોળ ચાલી રહી છે.તેમ એસઓજી પીઆઇ જે.એમ. આલ પાસેથી જાણવા મળ્યું છે.