મોરબી સિવિલ હોસ્પિટલમાં તમામ સેવા શરૂ થઈ જતા દર્દીઓને રાહત મોરબી : લાંબા સમયથી પડતર પ્રશ્ને ઇન સર્વિસ તબીબોએ ગઈકાલે રાજ્ય સરકાર સામે મોરચો માંડીને હડતાલ પાડી હતી. આ રાજ્ય વ્યાપી ઇન સર્વિસ તબીબોની હડતાલમાં મોરબી જિલ્લાના 80 જેટલા સરકારી તબીબો જોડાયા હતા. ખાસ કરીને જિલ્લા કક્ષાની સૌથી મોટી સિવિલમાં તબીબોની હડતાલથી દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. દરમિયાન સરકાર સાથેની મંત્રણા બાદ ઇન સર્વિસ તબીબોએ આજથી હડતાલ સમેટીને સેવામાં જોડાઈ ગયા હોવાનું જાણવા મળે છે. રાજ્ય વ્યાપી ઇન સર્વિસ ડોકટરોની હડતાલમાં મોરબી જીલ્લાના 80 જેટલા ડોકટરો જોડાતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે હોસ્પિટલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અને આરોગ્ય અધિકારીએ સરકારી તબીબોની હડતાલથી દર્દીઓની સુવિધામાં કોઈ ફરક નહિ પડે તેવો દાવો પણ કર્યો હતો. દરમિયાન આ હડતાલને પગલે ગઈકાલે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશનના હોદેદારો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે મેરેથોન ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રીએ સરકારી તબીબોના પડતર પ્રશ્નો અને મંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આથી ઇન સર્વિસ તબીબોએ અચોકસ મુદતની હડતાલ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સરકારી તબીબો હડતાલ સમેટીને આજથી ફરીથી આરોગ્ય સેવામાં જોડાઈ ગયા છે અને મોરબી જિલ્લામાં આરોગ્ય સેવા પુનઃશરૂ થઈ ગઈ છે. જેમાં મોરબીની સિવિલમાં તમામ આરોગ્ય સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. આથી, દર્દીઓએ રાહતનો દમ લીધો છે.