ડી-19 નંબરની કેનાલમાં પડ્યું ગાબડું : કેનાલનુ પાણી ગામ સુધી પહોંચ્યું હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામેથી પસાર થતી ડી-૧૯ નંબરની કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. નર્મદા કેનાલનું પાણી છેક ગામના પાદર સુધી પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ ખેડૂતોએ શીયાળુ પાકનું વાવેતર કર્યૂ હોય તેવા સમયે કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને પણ આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવવાની નોબત સર્જાઇ છે. હળવદ પંથકમાં પાછલા ઘણા વર્ષોથી નર્મદા કેનાલના નબળા કામોને લીધે અવારનવાર કેનાલો તુટવાના બનાવો સામે આવતા હોય છે. જેના કારણે ઘણી વખત ખેડૂતોના ઊભા મોલમાં પાણી પહોંચી જવાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવી પડતી હોય છે. ત્યારે આજે પણ આવો જ એક બનાવ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે પ્રકાશમાં આવ્યો છે. આજે વહેલી સવારના તાલુકાના રાયસંગપુર ગામેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ હેઠળ આવતી ડી-૧૯ કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના પંદરેક જેટલા ખેડૂતોના ખેતરમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. જેના કારણે ૬૦ થી ૭૦ વીઘામાં વાવેતર કરેલ શિયાળુ પાક પર ખતરો સર્જાયો છે. વધુમાં, આ નર્મદાનું પાણી રાયસંગપુર ગામના પાદર સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જેથી નર્મદા કેનાલના અધિકારી વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.