32 બાઈકચાલક અને 2 કારચાલક ઝપટે મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે રાત્રે 8 વાગ્યા બાદ શહેરના ચોકે-ચોકે પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વારંવારની સૂચનાઓ, અપીલો અને વિનવણીઓ છતાં સરેઆમ કર્ફ્યૂભંગ કરતા અને આંટાફેરા કરવા નીકળી પડેલા વાહનચાલકો સામે આજે રવિવારે સખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ નજીક મોરબી જિલ્લા એસ.પી.ઓડેદરા (સુપ્રિન્ટેન્ડ ઓફ પોલીસ) ખુદ પહોંચ્યા હતા. જ્યાં ડી.વાય. એસ.પી. પઠાણ, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ સહિતના સ્ટાફે સમાજના વેરી એવા 32 જેટલા બાઈકચાલકો અને 2 કારચાલકોને કર્ફ્યૂભંગ બદલ ઝડપી પાડયાં હતા. આ તમામના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કર્ફ્યૂભંગના કેસો કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે આગામી સમયમાં પણ આ રીતે જ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. લોકોને ખાસ અને ઇમરજન્સી કામ વગર રાત્રે 8 વાગ્યા બાદ બહાર ન નીકળવા માટે એસ.પી. સહિતના અધિકારીઓએ ફરી એકવાર લોકોને અપીલ કરી વ્યવસ્થામાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.