ગત રાતના પલાસણ ગામની સીમમાં દીપડાએ બે સ્વાનનુ મારણ કર્યું હોવાનું જણાવતા ગ્રામજનો હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ગઈકાલે દિપડાના સગડ દેખાયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને ગત મોડી સાંજના દીપડાને ઝડપી લેવા પાંજરૂ મુકવામા આવ્યું છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો ન હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં ગત મોડી સાંજના તાલુકાના પલાસણ ગામની વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું અને બે કૂતરાંનુ મારણ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે દિપડાના સગડ દેખાયા બાદ ગઈકાલે ઘનશ્યામપુર અને મોડી સાંજના પલાસણ ગામે દિપડાના સગડ જોવા મળ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા દિપડાને પકડી લેવા ઘનશ્યામપુર ગામે પાંજરૂ મૂકવામાં આવ્યું છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો ન હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ગઈકાલે જ મીડિયા સાથેની વાતચીતમાં ફોરેસ્ટ અધિકારી ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદ વિસ્તારમાં જે દીપડો આવ્યો છે. તે માનવભક્ષી ન હોય અને જો એ દીપડો હળવદ વિસ્તારમાં જ હશે તો ટૂંક સમયમાં જ તેને પકડી લેવામાં આવશે. જેથી, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ અમારી ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.