રાજ્ય સરકારને વચગાળાનો અહેવાલ મોકલી અપાયોમોરબી : મોરબીની નિર્માણાધીન મેડિકલ કોલેજના બાંધકામ દરમિયાન છત ધરાશયી થતા પાંચ શ્રમિકોને ઇજા પહોચવા મામલે સરકારને વચગાળાનો અહેવાલ મોકલી આપવામાં આવ્યો હોવાનું અને હવે તપાસ દરમિયાન જો કોઈ ક્ષતિ જણાશે તો કોઈ પણ જવાબદાર ને છોડવામાં નહિ આવે તેવું મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.ગત તા.8ના રોજ મોરબી - રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક નવી બંધાઈ રહેલી મેડિકલ કોલેજની મહાકાય છત તૂટી પડતા એક શ્રમિક કાટમાળ હેઠળ દબાઈ જવાની સાથે કુલ પાંચ શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ પાંચ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે એ ઈશ્વરની મહેરબાની છે.વધુમાં જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ ઉમેર્યું હતું કે, મોરબી મેડિકલ કોલેજની છત તૂટવા પ્રકરણમાં સરકારને વચગાળાનો અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે અને પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાસેથી વિગતો મેળવી તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના સંદર્ભે કોન્ટ્રાકટર કે જવાબદાર કોઈપણની લાપરવાહી સામે આવશે તો કોઈને પણ છોડવામાં નહિ આવે તેવું તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું.