જિલ્લા કલેકટરની દરખાસ્ત ઉપર કોઈ કાર્યવાહી ન થતા અંતે ગ્રામના અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામ રાજકોટ જિલ્લાના હદ નજીક હોવાથી ગામલોકોના પ્રશ્નો માટે સુગમતા રહે એ માટે ગ્રામજનોની રજુઆતના આધારે અગાઉ જિલ્લા કલેકટરે વાંકાનેર તાલુકાના ખેરવા ગામનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવાની દરખાસ્ત સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયમકને મોકલી આપી હતી. તેમ છતાં આ દિશામાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગામના અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વાંકાનેરના ખેરવા ગામનો રાજકોટ તાલુકામાં સમાવેશ ન થાય તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામના રવીરાજસિંહ ઝાલાએ અગાઉ સમસ્ત ગામ વતી વાંકાનેર તાલુકાના ખેરવા ગામનો રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં સમાવેશ કરવાની રજુઆત કરી હતી. આ રજુઆત સંદર્ભે વાંકાનેરના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તરફથી આ અંગે સંયુક્ત દરખાસ્ત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીનો અભિપ્રાય લેતા વાંકાનેર તાલુકાનું ખેરવા ગામ ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ જિલ્લાની વધુ નજીક હોય ગામલોકોને પ્રશ્નોનો સરળતાથી ઉકેલ માટે વાંકાનેર તાલુકાના ખેરવા ગામનો રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં સમાવેશ કરવો યોગ્ય જણાય આવે છે. આથી, મોરબી જિલ્લા કલેકટરે વર્ષ 2017 આ અંગેની દરખાસ્ત સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામકને મોકલી આપી હતી. ગ્રામજનોની સતત રજુઆત અને જિલ્લા કલેકટરની દરખાસ્ત હોવા છતાં સરકારે આ દિશામાં કોઈ કાર્યવાહી કરી ન હતી. આથી, ખેરવા ગામના રવીરાજસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામનો સમાવેશ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં કરવામાં આવે એવી ખેરવા ગામના લોકોની લાગણી અને માંગણી છે. અને જો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી વિધાનસભા, લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન નો બહિષ્કાર કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને સરકારની રહશે તેમ તેમણે રજુઆતમાં જણાવ્યું હતું.