વીજ મીટર આધારિત ખેડૂતોને સમાન સિંચાઈ હક્ક આપોની માંગ સાથે મોરબી જિલ્લામાં કિશાન સંઘની બેઠક યોજાઇ મોરબી : સરકારે ખેડૂતોને પૃરતા પ્રમાણમાં સિંચાઈ માટે વીજળી આપવાનો વાયદો કર્યો છે. પણ હકીકતમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળતી જ નથી. વારંવાર વીજ કાપ મુકવામાં આવે છે. તેથી ખેડૂતો સિંચાઈ માટે ભારે મુશ્કેલી પડે છે. આથી ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ભારતીય કિશાન સંઘ દ્વારા આંદોલનનો લલકાર કરવામાં આવ્યો છે. વીજ મીટર આધારિત ખેડૂતોને સમાન સિંચાઈ હક્ક આપોની માંગ સાથે મોરબી જિલ્લામાં કિશાન સંઘની બેઠક યોજાઇ હતી. જેમાં કિશાન સંઘના જિલ્લા પ્રમુખ, મહામંત્રી બાબુલાલ સિંણોજિયા, જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવાના પ્રશ્ને સરકારમાં અનેક વખત રજુઆત કરી છે. પણ પરિણામ શૂન્ય રહ્યું છે. ખેડૂતોના પ્રશ્ને વારંવાર થતા અન્યાયથી હવે ધીરજ ખૂટી ગઈ છે. ખેડૂતો અને કિશાન સંઘની સહનશક્તિનો અંત આવતા હવે આ મુદ્દે છેક સુધી લડી લેવાનો નીર્ધાર કર્યો છે અને ખેડૂતોના હક્ક માટે આંદોલનનો રણટંકાર કર્યો છે. તંત્ર અને સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપી 15 જુનથી ધરણા સહિતના આંદોલન કરવાનું જણાવ્યું છે.