ધારાસભ્ય મેરજા હજુ છ અઠવાડિયા આરામમાં : લોકોના કામ માટે કાર્યાલય ચાલુ મોરબી : મોરબીમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અકસ્માતે પડી ગયેલા મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે એક સંદેશ મારફતે પોતે હજુ પથારીવશ હોવાનું અને લોકો સુરક્ષિત રહે તે માટે ચિંતિત હોવાનું જણાવી હજુ છ અઠવાડીયા સુધી તેઓ બહાર નીકળી શકે તેમ ન હોવાનું જણાવ્યું છે. મોરબી - માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે મીડિયામાં નિવેદન આપતા જણાવ્યું છે કે, વિધાનસભાના બજેટ સત્રમાં સક્રિય ભાગ લઈ રહ્યો હતો, ત્યાં આકસ્મિક પડી જવાથી, મારા જમણાં ખભે મલ્ટીપલ ફ્રેક્ચર થવાથી સ્પેશ્યિલિસ્ટ ડૉક્ટરની ટીમે મારી ત્રણ કલાક સર્જરી કરી પ્લેટ બેસાડી છે. લોકોની શુભેચ્છાથી સર્જરી સફળ થઈ છે. પણ ડૉક્ટરની સલાહ મુજબ હજુ આગામી છ અઠવાડિયા બેડ રેસ્ટ લેવો જરૂરી છે, વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ ઉમેર્યું છે કે, જમણાં હાથે ખભાથી કોણી સુધી 29 ટાંકા લેવા પડ્યા છે, હાથની મુવમેન્ટ ફિઝિઓથેરાપી બાદ થઈ શકશે, એટલે ફરજીયાત પથારીવશ છું. લોકોના કામો તેમના કાર્યાલયે, સંગઠન અને પદાધિકારીઓ દ્વારા થઈ રહ્યા છે, કોરોના સામે લોકો સુરક્ષિત રહે તે માટે હું ચિંતિત છું, પણ હજુ 6 અઠવાડિયા હું લોકો વચ્ચે આવવા અશક્તિમાન છું, પણ મારી સંવેદના મારા મત વિસ્તારના લોકો સાથે જ છે તેમ જણાવી તકલીફ દરગુજર કરશો તેવું અંતમાં તેમને ઉમેર્યું હતું.