લીમડાના અર્કમાંથી બનાવેલું નિમાસ્ત્ર પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક, ફૂગનાશક અને જૈવિક ખાતર તરીકે કામ કરે છેમોરબી: સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. પ્રાકૃતિક ખેતીમાં રોગ નિયંત્રણ માટે વિવિધ કુદરતી પેદાશોમાંથી જંતુનાશક બનાવવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને કુદરતી રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં લીમડામાંથી બનતું નિમાસ્ત્ર એક અગત્યનું તત્વ છે, જે રોગ નિયંત્રક તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે.નિમાસ્ત્ર, એટલે લીમડાના અર્કમાંથી બનાવેલું એક કુદરતી ઉત્પાદન, જે પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક, ફૂગનાશક અને જૈવિક ખાતર તરીકે કામ કરે છે. તેના ઔષધીય અને જંતુનાશક ગુણોને કારણે, નિમાસ્ત્ર ખેડૂતો માટે એક અસરકારક અને પર્યાવરણને અનુકૂળ સાધન બની રહ્યું છે. લીમડાના ઝાડના બીજ અને પાંદડામાંથી બનતું નિમાસ્ત્ર જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને જંતુઓથી બચાવવામાં મદદ કરે છે, જે પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતોને સમર્થન આપે છે.પાક સંરક્ષણ માટે અને ખાસ કરીને ચુસીયા પ્રકારની જીવાતો અને નાની ઇયળોના નિયંત્રણ માટે કોઈપણ પાક અથવા ફળાઊ ઝાડ પર છંટકાવ કરવા માટે નિમાસ્ત્ર ઘરે જ બનાવી શકાય છે. નિમાસ્ત્ર બનાવવા માટે ૫ કિલોગ્રામ લીમડાના લીલા પાન અથવા ૫ કિલોગ્રામ સુકાયેલી લીંબોડી ખાંડીને રાખવી, ૧૦૦ લિટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા લીંબોળીનો પાવડર નાખી તેમાં ૫ લીટર ગૌમુત્ર નાખવું અને ૧ કિલોગ્રામ દેશી ગાયનું છાણ ભેળવવું. આ મિશ્રણને લાકડીથી મિશ્ર કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું દિવસમાં ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું, તૈયાર છે નિમાસ્ત્ર જે પાક પર સીધુ છંટકાવ કરી શકાય છે.રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. નિમાસ્ત્ર આનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તે ઝેરી નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જંતુઓને નિયંત્રિત કરે છે. નિમાસ્ત્ર માત્ર જંતુનાશક તરીકે જ નહીં, પરંતુ જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદરૂપ છે, જે રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદ્દેશ છે. લીમડાના ઝાડની સરળ ઉપલબ્ધતા અને નિમાસ્ત્રની સસ્તી ઉત્પાદન પ્રક્રિયા ખેડૂતો માટે આર્થિક રીતે પણ લાભદાયી છે.