સવારે 8થી 9 દરમિયાન રાજતિલક સમારોહ બાદ મહારાજા કેશરીદેવસિંહજી નગરયાત્રાએ નીકળશે વાંકાનેર : વાંકાનેરના 16માં મહારાણા સાહેબ કેશરીદેવસિંહજી મહારાજસાહેબની રાજતિલક વિધિનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજશાહી પરંપરા અનુસાર સતત પાંચ દિવસ સુધી ચાલનાર રાજતિલક વિધિ અન્વયે આવતીકાલે સવારે શુભમુહૂર્તમાં રાજપંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને શાહી પરંપરા મુજબ સવારે 8થી 9 દરમિયાન રાજતિલક વિધિ કરવામાં આવશે રાજાશાહી સમયમાં પણ વિકાસના કામો થકી પ્રજાજનો માટે દૂરંદેશી પૂર્વકના નિર્ણયો લઈ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રજાવત્સલ રાજવી નામદાર મહારાણા દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના નિધન બાદ વાંકાનેર રાજગાદી ઉપર રાજકુમાર કેશરીદેવસિંહજીને વિધિવિધાન મુજબ અને રાજવી પરંપરા અનુસાર રાજતિલક વિધિ કરવાંની શાહી પરંપરા અંતર્ગત ગઈકાલે જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું જ્યાં ભૂદેવો, સંતો,મહંતો દ્વારા મહારાણા કેશરીદેવસિંહજીને મંત્રોચ્ચાર સાથે આશીર્વચનો પાઠવ્યા હતા. વધુમાં આજરોજ રાજતિલક વિધિ અંતર્ગત વાંકાનેરના જુના દરબારગઢ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં સવારથી રાજ્યાભિષેક અને યજ્ઞનું આયોજન કરાયું હતું જયારે આવતીકાલે શુક્રવારે સવારે શુભમુહૂર્તમાં રાજપંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને શાહી પરંપરા મુજબ સવારે 8થી 9 દરમિયાન કેશરીદેવસિંહજી મહારાજ સાહેબની રાજતિલક વિધિ કરવામાં આવશે અને બાદમા વિન્ટેજ કાર,ઘોડા સાથે મહારાજા સાહેબની નગરયાત્રા યોજાશે.