લલિત કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં યાર્ડની ચૂંટણીને લઈને લડાયક મૂડમાં: પીપીઈ કીટ પહેરીને હાજર રહેશે મોરબી: છેલ્લા 19 વર્ષો દરમ્યાન બિનહરીફ જાહેર થતી મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આજે બુધવારે યોજાઈ રહી છે ત્યારે ઉમેદવારો સહિત ખાતેદાર ખેડૂતો, વેપારીઓ સહિતના મતદારોમાં ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. બન્ને મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. મોરબી યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠક માટે મગનભાઈ વડાવીયા અને સામે પક્ષે લલિતભાઈ કાગથરા તરફથી 10-10 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં અંદાજે 1468 ખેડૂત મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નોંધાયેલા છે. વેપારી વિભાગમાં કુલ 4 બેઠકો માટે બન્ને પક્ષો પ્રેરિત 4-4 ઉમેદવારો મેદાનમાં છે. જે ચૂંટણી પ્રક્રિયામાં 142 મતદારો નોંધાયેલા છે. જ્યારે સહકારી 2 બેઠકો માટે કોંગ્રેસ પ્રેરિત 1 અને ભાજપ તરફી 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ 2 બેઠકો માટે 35 મતદારો નોંધાયેલા છે. છેલ્લા 19 વર્ષો દરમ્યાન તમામ બેઠકો બિનહરીફ થતી હોય ચૂંટણીમાં મતદાન થયું ન હતું. ત્યારે આજે હવે 19 વર્ષ બાદ મતદાન થવા જઈ રહ્યું હોય ખાતેદાર ખેડૂતો, વેપારીઓ સહિત તમામ મતદારોમાં ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું છે. બહોળી સંખ્યામાં લોકો માર્કેટિંગયાર્ડ ખાતે એકઠા થયા હોય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત ઉમેદવાર કે મતદાતા માટે છેલ્લો 1 કલાક ફાળવાયો છે. જેમાં કોરોના ગાઈડલાઇન્સનું કડક પાલન કરી મતદાન કરી શકાય છે. એમ ચૂંટણી અધિકારી ગઢવીએ જણાવ્યું હતું. અત્યારે હજુ સુધી કોઈ સંક્રમિત મતદાતા મતદાન કરવા મતદાન મથકે આવ્યા ન હોવાનું પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પાછલા 19 વર્ષો દરમ્યાન મગનભાઈ વડાવીયાની પેનલ જ બિનહરીફ થઈ ચૂંટાઈ આવતી હતી અને વડાવીયા જ ચેરમેન પદે આરૂઢ થતા આવ્યા છે. આ ચૂંટણીનું મહત્વ એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લલિતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં તેઓએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગઈકાલે મંગળવારે રાત્રે જ તેઓએ એક વિડીઓ સંદેશમાં ગર્જના કરી હતી કે તેઓ પી.પી.ઇ. કીટ પહેરીને ચૂંટણી સ્થળે ઉપસ્થિત રહેશે. બેલેટ પેપરથી યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મતદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો છે. જ્યારે મતગણતરી આવતીકાલે સવારે 9 કલાકે હાથ ધરાશે. જેમાં આવતીકાલે ગુરુવારે સાંજ સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા દર્શાવાઇ રહી છે. માર્કેટિંગયાર્ડની ચૂંટણી હોવા છતાં આજનો માહોલ વિધાનસભાની ચૂંટણી સમકક્ષ હોવાનું ઉપસ્થિત જનસમુદાય જોતા લાગી રહ્યું છે ત્યારે ગુરુવારે સાંજ સુધીમાં યાર્ડમાં સત્તાના સૂત્રો કોના હાથમાં રહેશે એ સ્પષ્ટ થઈ જશે.