164 લોકોના નિવેદનોની કોપી આરોપીઓને આપવી કે નહીં તે અંગે આગામી સુનાવણીના લેવાશે નિર્ણય મોરબી : મોરબી ઝૂલતા પુલ કેસમાં આજે કોર્ટ દ્વારા 9 આરોપીઓને ચાર્જશીટની નકલ અપાઈ હતી. જ્યારે બાકીની સુનાવણી તા.1એ હાથ ધરવામાં આવનાર છે. જેમાં 164 લોકોના નિવેદનોની કોપી આરોપીઓને આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટમાં આજે 9 આરોપીના પક્ષે વકીલ ન હોય આજના દિવસ માટે સરકારી વકીલ શબાનાબેન ખોખરની આરોપી પક્ષના વકિલ તરીકે નિમણૂક કરાઈ હતી. આ સાથે આરોપીઓને ચાર્જશિટની નકલ આપવામાં કોર્ટે સહમતી દર્શાવી હતી. વધુમાં આરોપી પક્ષે 164 લોકોનાં જે નિવેદનો લેવાયા છે. તેની નકલ માંગવામાં આવી હતી. કોર્ટે આ અંગે સ્પે. પીપીની અને તપાસનીશ અધિકારીનો જવાબ માંગી તા.1 એ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. બીજી તરફ હવે આ 9 આરોપીઓ માટે જામીન અરજી મુકવાના દ્વાર પણ ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે એફઆઈઆરમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ દાખલ કરવામાં આવ્યું ન હતું. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ તેમાં જયસુખ પટેલને આરોપી દર્શાવાયા છે. તેઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જેની સુનાવણી પણ ક ફેબ્રુઆરીના થવાની છે.