સુંદરી ભવાની બાદ રાયધ્રાં ગામે ફૂડ પોઈઝનિંગની ઘટનાથી ફૂડ વિભાગ દોડતો : વહીવટ કરી લીધાની પણ ચર્ચા હળવદ : કોરોના હળવો થતાની સાથે જ હળવદ પંથકમાં ઘરમેળે સામાજિક પ્રસંગોના આયોજન થઇ રહ્યા છે જેમાં છેલ્લા અઠવાડિયામાં વાસી અને હલકી ગુણવતા વાળો રસ પીરસવામાં આવતા બે ગામના લોકોને ફૂડ પોઇઝનિંગ થયાનું સામે આવ્યું છે. જો કે મોટી સંખ્યામાં લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હળવદમાં કેરીનો કહેવાતો રસ વેંચતા વેપારીને ત્યાં આંટાફેરા કરી દનિયું પકાવી લીધાની ચર્ચા ઉઠી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રાં ગામે લખમણભાઇ ખોડાભાઈ સિણોજીયાના પુત્રના લગ્ન બાદ પુત્રવધુના વાયણાં પ્રસંગે કેરીનો રસ પીરસવામાં આવ્યા બાદ બીજા દિવસે મહેમાનોને ઝાડા ઉલ્ટીની અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ જ રીતે પાંચથી છ દિવસ પહેલા સુંદરી ભવાની ખાતે પણ કેરીનો રસ આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. દરમિયાન હમેશા સુષુપ્ત અવસ્થામાં રહેતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને ઘટના અંગે પૂછતાં તેમની પાસે આવી કોઈ વિગત ન હોવાનું અને આવી ગંભીર ઘટનાથી સંપૂર્ણ અજાણ હવાનું જણાવી ફૂડ ઈન્સ્પેક્ટરને હળવદ તપાસમાં મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું.જો કે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી ઉક્તિ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જવાબદાર કર્મચારીઓ બધું જાણતા હોવા છતાં ભેળસેળીયા પદાર્થ વેંચતા લોકોને છવારવા જ કામગીરી કરવા ઢીલી નીતિ અખત્યાર કરી રહ્યા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. હાલ તો માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ રાયધ્રાં ગામે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી છે.