બમ્પ પર સફેદપટ્ટાના અભાવે વાહનચાલકોના જીવ જોખમ હળવદ હાઈવે પર આવેલ હરીદર્શન ચાર રસ્તા પાસે બમ્પ સૂચક લાઈટ અને બમ્પ પર સફેદપટ્ટાના અભાવે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આમ એલ એન્ડ ટી કંપની ટોલ વસૂલવામાં માહિર છે પરંતુ વાહનચાલકોને સેવા આપવામાં નીરસ છે. તાત્કાલિક ધોરણે બમ્પ સૂચક લાલ લાઈટ કાર્યરત થાય અને બમ્પ પર સફેદ કલરના પટ્ટા મરાય તે અતિ આવશ્યક છે કારણકે હળવદ-માળીયા હાઈવે પર આવેલ ચાર રસ્તા પર નાના-મોટા અકસ્માત થયા અને અનેક વ્યક્તિઓ ઘવાય છે અને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે ત્યારે બેદરકાર એલ એન્ડ ટી કંપની દ્વારા સત્વરે કામ હાથ ધરાય તેવી લોકોની માગણી ઉઠવા પામી છે. હળવદ-માળીયા હાઈવે પર આવેલ રણેકપર ચોકડી પર આવેલ બમ્પ જરૂરી છે પરંતુ તે બમ્પ છે તે વાહન ચાલક ને ધ્યાને આવે તે માટે જે લાલ લાઈટ મુકવામાં આવી છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે અને સફેદ પટ્ટા પણ ભૂંસાય ગયા હોવાથી અવારનવાર અકસ્માત થતા હોય છે અને એમાં પણ અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે આ બાબતે એલ એન્ડ ટી કંપનીના શૈલેશ ભાઈ રામીને હળવદ પીએસઆઇ ચન્દ્રકાન્ત શુક્લ અને નગર સેવક તપનભાઈ દવેએ રજૂઆત કરતા આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી વાત કરી હતી અને આવનારા સમયમાં આ જગ્યાએ કોઈ અકસ્માત ન થાય તે માટે એલ એન્ડ ટી કંપની ઘટતી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.