પેટા કેનાલના રીપેરીંગ કામમાં લોટ, પાણી અને લાકડા: બે કિ.મી. સુધી જર્જરિત પેટા કેનાલ હળવદ : રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર રાજયના ખૂણે ખૂણે પહોંચડા તેમજ ખેડૂતોને ખેતી માટે પુરતું પાણી મળી રહે તેવા હેતું સાથે નર્મદા કેનાલ બનાવવામાં આવી છે ત્યારે હળવદ તાલુકામાં આવેલ માળીયા બ્રાન્ચની પેટા કેનાલમાં પાંચ મહિનાથી ભંગાણ પડ્યો છે તેમાં અગાઉ રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પગલાં ન લેવાતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. હળવદ- માળીયા નર્મદા બ્રાન્ચની પેટા કેનાલમાં ઠેકઠેકાણે ભંગાણ પડેલુ છે જેમાં તંત્ર દ્વારા આઇએસઆઇ માર્ક વગરની સિમેન્ટના બદલે લોકલ સીમેન્ટ વાપરવામાં આવતા કામગીરીમાં 'જૈસે થે'નો તાલ સર્જાયો છે એટલું જ નહીં આ પેટા કેનાલમાં અધિકારીઓએ નબળી ગુણવત્તાનો સીમેન્ટ વાપરી લોટ, પાણી અને લાકડા જેવી કામગીરી કરી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિક પપ્પુભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે, શકિતનગર પાસે આવેલ નર્મદા બ્રાન્ચની પેટા કેનાલ રેલવે લાઈનથી નેશનલ હાઈવે સુધી તુટી ગઇ હતી જેની મરમતની કામગીરીમાં નબળી ગુણવત્તાનો માલ-સામાન વાપરવામાં આવે છે અને આ પેટા કેનાલની મરમતમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખીસ્સા ભરી રહ્યા હોવાનું લોકોમાં સવાલના વમળ ઉભા થવા પામ્યા છે. શકિતનગરની પાસે આવેલ પેટા કેનાલ ભંગાણ અવસ્થામાં હોવા છતાં તંત્ર દ્વારા નબળી કામગીરી હાથ ધરી માત્ર મોટા મોટા દેખાવો કરી રહી છે. જોકે પેટા કેનાલ અવારનવાર તુટી જવાના કારણે કે લીકેજ થવાના કારણે આજૂબાજૂના સ્થાનિક ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોય છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સાચી દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલાય સરકારી બાબુઓને રેલો આવે તેમ છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='16688,16689']