હળવદ પુરવઠા ગોડાઉનથી સસ્તા અનાજના વેપારીને મોકલાયેલો જથ્થો કારખાનામાં પહોંચી ગયો : એસઓજીએ કૌભાંડ ઝડપી લીધું હળવદ : મોરબી જીલ્લામાં સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ગરીબોને આપવાનો ઘઉં ચોખાનો જથ્થો બારોબાર વેચવાની જગજાહેર વાત આજે હળવદમાં સાચી ઠરી છે મોરબી એસ.ઓ.જી.એ હળવદના કારખાનામાં દરોડો પાડી પાંચ લાખનો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપી લેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી કડિયાણા ગામે સસ્તા અનાજના વેપારી ને મોકલવામાં આવેલો ઘઉં અને ચોખાનો જથ્થો દુકાને પહોંચવાને બદલે સીધો જ હળવદ માળીયા રોડ પર આવેલ એલીગન્સ ફૂડ નામના કારખાનામાં પહોચી જતા એસઓજી પીઆઇ સલીમ સાટીની ટીમે કૌભાંડ રંગે હાથ ઝડપી લઈ અનાજ ભરેલ ટ્રક જપ્ત કરી હતી. વધુમાં એસઓજી ટીમે પુરવઠા ગોડાઉન અને સસ્તા અનાજના વેપારીને સંડોવતા આ કૌભાંડમાં ૧૮૫ ગુણી ઘઉં અને ૩૫ ગુણી ચોખા તેમજ ટ્રક સહિતનો મુદામાલ કબ્જે લીધો છે અને આ લખાય છે ત્યારે પણ હજુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.