બાંધકામ શ્રમિકોને હવે કામના સ્થળે જ મળશે નિઃશુલ્ક તબીબી તપાસ અને દવાઓની સુવિધા: કલેક્ટરે કરાવ્યું રથનું પ્રસ્થાન મોરબી: મોરબી જિલ્લામાં રાષ્ટ્ર નિર્માણના પાયા સમાન બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને સ્વાસ્થ્યની રક્ષા માટે રાજ્ય સરકારના ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા નવીન ‘ધનવંતરી આરોગ્ય રથ’ ફાળવવામાં આવ્યો છે. આ રથનું મોરબી જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ આરોગ્ય રથના માધ્યમથી જિલ્લાની વિવિધ બાંધકામ સાઇટ પર કાર્યરત શ્રમિકોને તેમના કામના સ્થળે જ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે.શ્રમિકોને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય સેવાઓ મળતી થતા તેમના સમય અને નાણાંની બચત થશે. આ નવીન સુવિધા શરૂ થવાથી મોરબી જિલ્લાના હજારો બાંધકામ શ્રમિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત કરવામાં મોટી મદદ મળશે.આ લોકાર્પણ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્તવ, જિલ્લા નિરીક્ષક મિતેશ જોષી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હરેશભાઇ પરમાર, ધનવંતરી રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જગદીશભાઈ તેમજ રથનો તબીબી સ્ટાફ અને બાંધકામ બોર્ડના જિલ્લા કચેરીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.#Morbi #Health #DhanvantariRath #CollectorMorbi #ConstructionWorkers #HealthCare #MorbiUpdate #GujaratGovernment #MedicalFacility