મોરબી : આજે 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે મોરબી જિલ્લા પંચાયત ભવનના પટાંગણ ખાતે ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાના હસ્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તેમજ દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે તિરંગો લહેરાવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારી તથા ઉપસ્થિત અન્ય તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ શાળાના ભૂલકાઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને સમગ્ર પરિસર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ તકે ઉપ પ્રમુખે પ્રવચનમાં જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ અને આપણા દેશના મહાન ક્રાંતિકારીઓ/ દેશભક્તોને યાદ કરી તેમણે આપેલ બલિદાન અને સઘર્ષને કારણે આજે આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ’ તેમ જણાવ્યું. આજે ભારત જ્યારે તેની આઝાદીના અમૃતકાળમાં છે, ત્યારે પંચાયતી રાજ સંસ્થાઓની જવાબદારી છે કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે તેમ કહી આજના આ રાષ્ટ્રીય પર્વે આપણી ફરજ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવા, 'વિકસિત ભારત @ 2047' ના સ્વપ્નને સાકાર કરવા આપણા જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા, દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પ લેવડાવ્યા હતા.આ તકે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ કવોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટીફીકેટમાં ઉત્તમ ગુણ મેળવવા બદલ ધરમપુર અને હમીરપર ગામના આરોગ્ય આયુષ્માન મંદિરની ટીમને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઢુવાના ફીમેલ હેલ્થ વર્કરને કુટુંબ કલ્યાણ કામગીરી અંતર્ગત કુટુંબ નિયોજનની શ્રેષ્ઠ કામગીરી બદલ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરને છેલ્લા 10 વર્ષથી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.એન.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (I/C) એ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ/કર્મચારીઓ, શાળાના ભૂલકાઓ તેમજ અન્ય મહેમાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને હાજર રહેલ પોટરી શાળાના બાળકોને જિલ્લા પંચાયત કચેરી દ્વારા રૂ. 5100/- ની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપ પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કચેરી સંકુલમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.