ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી ગામમાં થતી ખનીજચોરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી મોરબી : મોરબીના અદેપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને ગેરકાયદે બેરોકટોક ખનીજચોરી કરતા હોવાથી અદેપર ગ્રામ પંચાયત આ ખનીજચોરી અટકાવવા મેદાને આવી છે અને અદેપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી ગામમાં થતી ખનીજચોરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. અદેપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, અદેપર ગામની સીમની જમીનમાં, બોર્ડર ઉપર, ખેતર પાસે, જંગલ વિસ્તારમાં હાલમાં ગેરકાયદેસર ખનીજચોરી ચાલુ છે. ખનીજ માફિયાઓ બેફામ બનીને છેલ્લા કેટલાક દિવસોથી કાયદો કે તંત્રનો જરાય ડર જ ન હોય તેમ ખનિજચોરી કરી રયા છે. આ બેફામ ખનિજચોરીને કારણે સરકારને લિઝ દ્વારા થતી આવકમાં નુકશાન થઈ રહ્યું છે.આ ઉપરાંત ગેરકાયદે ઓવરલોડ ખનીજ ભરેલા ભારે વાહનોને લીધે રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. આથી તાકીદે આ ખનીજચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.