અંદાજે ત્રણથી પાંચ વર્ષના દીપડાને હવે જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે વાંકાનેર : વાંકાનેર પંથકમાં છેલ્લા લાંબા સમયથી ડેરા તંબુ તાણી વિચરણ કરતા દીપડાએ હવે શહેર વિસ્તારમાં મુકામ કરતા વનવિભાગ દ્વારા દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવવામાં આવતા અઠવાડિયા જેટલા સમયગાળા બાદ અંતે આજે વહેલી સવારે છ વાગ્યે દિગ્વિજયનગર વિસ્તારમાં દીપડો પાંજરામાં કેદ થયો છે. વાંકાનેર સુધી પહોંચી ગયેલ દીપડાને હવે સરકારની સૂચના મુજબ અન્યત્ર જંગલ વિસ્તારમાં મુક્ત કરવાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના દિગ્વિજયનગર તેમજ પેડક વિસ્તારમાં ગત અઠવાડિયામા દીપડાએ દેખા દેતા નાગરિકોની ફરિયાદ બાદ અહીં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં આજે વહેલી સવારે દીપડો કેદ થયો હોવાનું વાંકાનેર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી નરોડીયાના જણાવ્યુ હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. અંદાજે ત્રણથી પાંચેક વર્ષની ઉંમરનો દીપડો નર હોવાનું અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ આ દીપડાને અન્યત્ર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. હાલમાં આ દીપડાને વનવિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.