ધારાસભ્ય કાંતિલાલ અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષએ હજુ સતાવાર જાહેરાત થઈ ન હોવાનું જણાવ્યું મોરબી : મોરબીના લોકો લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તેવો મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારની કેબિનેટમાં લેવાયો હોવાનું જાણવા મળે છે. જો કે, હજુ સતાવાર જાહેરાત બાકી છે. ગુજરાતમાં 8 મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં વધુ 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવા કેબિનેટમાં લીલીઝંડી આપી છે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી સામેલ છે. અત્યાર આ પાંચેય શહેર નગરપાલિકા ધરાવે છે. તેમને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે. જો કે, બીજી તરફ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડ દલવાડીએ હજુ સુધી તેમની પાસે કોઈ સતાવાર વિગતો આવી ન હોવાનું જણાવ્યું હતું.