હળવદના ચકચારી બનાવમાં પરિવારજનોએ લાશ સંભાળવાનો ઇનકાર કરી દીધા બાદ અંતે પોલીસે ગુન્હો નોંધવાની ફરજ પડી હળવદ : હળવદના બ્રાહ્મણી ડેમમાં યુવાને ઝંપલાવીને આપઘાત કરી લીધાના બનાવમાં અંતે પોલીસમેન સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. જેમાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવતા પરિવારજનોએ જ્યાં સુધી દોષિત સામે ગુન્હો ન નોંધાઈ ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇનકાર કરી દેતા આખરે પોલીસને ગુન્હો નોંધવાની ફરજ પડી હતી. હાલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી એક પોલીસમેન સામે મરવા મજબુર કર્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નીતિનગિરી વિનોદગિરી ગોસાઈ (ઉ.વ.34) નામના યુવાને તા.11 જુનના રોજ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ યુવાનનો ગઈકાલે વહેલી સવારે આ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને કબ્જે કરીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે મૃતક યુવાને આપઘાત કરતા પહેલા શર્ટ અને ચપ્પલ ડેમના કાંઠે મુક્યા હતા. જેમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાને એક પોલીસકર્મીના ત્રાસને કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. આથી મૃતકના પરિવારજનોએ પોતાના પુત્રને ધમકી આપી મરવા મજબૂર કરનાર પોલીસમેન સામે તત્કાળ એફ.આઈ.આર. નોંધવાની માંગ કરી જ્યાં સુધી આ બનાવ અંગે દોષિત સામે ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી પરિવારજનોએ પોતાના પુત્રની લાશ સાંભળવાનો ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આથી, ડીવાય.એસ.પી. રાધિકા ભારાઈ હળવદ ખાતે દોડી ગયા હતા. ડીવાયએસપીએ તેમની માંગ મુજબ દોષિત સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતકના પરિવારજનો પોતાના પુત્રની લાશનો કબ્જો લઈ લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ નિલેશગીરી વિનોદગીરી ગોસ્વામીએ પોલીસમેન ઇન્દુભા પરમાર (રહે. ટીડાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના નાના ભાઇ નીતીનગીરી ઉફૅ ડીગો વિનોદગીરી ગોસ્વામીને આરોપીએ કોઇપણ કારણોસર દબાણ કે ત્રાસ આપતા મરણ જનાર સુસાઇડ નોટ (ચીઠી) લખી આત્મહત્યા કરવા મજબુર કરતા તેનો ભાઈ બ્રામણી ડેમમા પડી જઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા ચલાવી રહ્યા છે.