જન્મના દાખલાના ફોર્મ બાબતે બબાલ: અરજદારે લાફો માર્યાનો આરોપ લગાવ્યો, જ્યારે તલાટી મંડળે અરજદાર દ્વારા ગેરવર્તન કરી વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી મંત્રી અને ગામના અરજદાર વચ્ચે બબાલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં અરજદાર પક્ષે લાફો માર્યાનો આરોપ લગાવ્યો છે, જ્યારે તલાટી મંડળે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.અરજદાર મુસ્તાકભાઈ અહેમદે આક્ષેપ કર્યો હતો કે, તેમના પિતા 3 થી 4 મહિનાથી જન્મના દાખલા માટે 10 નંબરના ફોર્મ અંગે ગ્રામ પંચાયત કચેરીના ધક્કા ખાતા હતા. ગામના તલાટી એઝાઝ અહેમદ કાદરીએ કામની ના પાડતા પિતાએ રૂપિયાની માંગણીનો આક્ષેપ કર્યો હતો, જેથી ઉશ્કેરાઈને તલાટી મંત્રીએ તેમના પિતાને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ 112 માં ફોન કરતાં પોલીસ આવી હતી અને બન્ને પક્ષે સમાધાન થઈ ગયું હોવાનું જણાવાયું હતું.બીજી તરફ તલાટી મંત્રી એઝાઝ અહેમદ કાદરીએ લાફો માર્યાના આરોપને સદંતર નકારી જણાવ્યું હતું કે, અરજદારને તેમના કાકાએ દત્તક લીધા હોય પિતાના નામમાં ફેરફાર કરાવવો હતો, જે કોર્ટમાં એફિડેવિટથી જ શક્ય છે. તેમ છતાં અરજદારે ખોટો દાખલો કાઢી આપવા દબાણ કરી ફરજમાં રૂકાવટ કરી હતી.આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તારીખ 13/05/2026 ના રોજ વાંકાનેર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં તારીખ 12/05/2026 ના રોજ અરણીટીંબા ગ્રામ પંચાયતમાં બનેલ ઘટનાની વિસ્તૃત રજૂઆત કરાઈ છે. તલાટી મંડળના જણાવ્યા અનુસાર, અરજદાર નઇમ મુસા દ્વારા ફોર્મ નંબર 10 (અપ્રાપ્ય પ્રમાણપત્રક) કાઢી આપવા મૌખિક માંગણી કરાઈ હતી. તલાટી એ.એમ.કાદરીએ 1975 ના રજીસ્ટરમાં તપાસ કરતા અનુક્રમ નંબર 38 માં નઇમ મહમદ અભરામ હજામના નામથી જન્મ નોંધ જોવા મળી હતી. જેથી તલાટીએ નઇમ મુસા અભરામના નામે પ્રમાણપત્ર નીકળી શકે નહીં તેમ સ્પષ્ટ જણાવતા અરજદાર ઉશ્કેરાઈ ગયા હતા. આવેદન પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદારે માનસિક પ્રેશર કરી અને ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા હતા. ત્યારબાદ અરજદારે પોતાના કુટુંબના 12 થી 15 વ્યક્તિઓને બોલાવી તલાટી સાથે દુર્વ્યવહાર કરી તેમની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. એટલું જ નહીં, ગ્રામ પંચાયત કચેરીમાં વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી તલાટીને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે. આથી, વાંકાનેર તાલુકા તલાટી કમ મંત્રી મંડળે અરજદાર અને તેમના મળતિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ કોઈપણ સરકારી ઓફિસમાં અધિકારીની પૂર્વ મંજૂરી વિના વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવા અંગે સરકારમાં રજૂઆત કરવાની અપીલ કરી છે. #Wankaner #MorbiUpdate #ArnitimbaGramPanchayat #TalatiMantri #MorbiNews #GujaratNews