માળીયા : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું વર્લ્ડ ક્લાસ અને ઉંચામાં ઉંચુ સ્ટેચ્યુ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યું ત્યાર બાદ બીજા તબકકા દરમ્યાન એકતા યાત્રા રથ ગામે ગામ ફરી રહ્યો છે. ત્યારે માલિયાના મોટિબરાર ગામે આ યાત્રામાં સરદાર પટેલના જીવન કવન અને રાષ્ટ્ર માટે તેમણે આપેલા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યુ હતું. એકતા યાત્રા હાલ માળિયા તાલુકાના વિવિધ ગામોના જઈ રહી છે ત્યારે મોટીબરાર ગામે આ એકતા યાત્રા રથનું રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ શાળાની બાળાઓ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને કુમકુમ નું તિલક કરી, પુષ્પનો હાર પહેરાવી હર્ષ ભેર સ્વાગત કર્યું હતું. આ તકે મોરબી-માળિયા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અન્ય રાજકીય આગેવાનો, મોટીસંખ્યામાં ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.