સરા રોડ પર ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટ ચાલુ ધ્રાંગધ્રા રોડ પર અંધારામાં ગોથાં મારતી પ્રજા હળવદ : હળવદમાં પાછલા ઘણા સમયથી ધ્રાંગધ્રા રોડ ઉપરની સ્ટ્રીટલાઇટો બંધ રહેતી હોવાને કારણે ખાસ કરીને રાત્રિનાં સમયે અહીંથી પસાર થતાં રાહદારીઓ અંધારામાં ગોથા ખાઇ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ધાંગધ્રા રોડ પર રાતના સમયે પણ સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે. જ્યારે સરા રોડ પર દિવસે પણ એટલે કે ૨૪ કલાક સ્ટ્રીટલાઇટો ચાલુ રહે છે. જેને બંધ કરવાનો પણ પાલિકા પાસે ટાઈમ નથી. હળવદ પાલિકાની અણઆવડતને કારણે ધ્રાંગધ્રા રોડ પર આવેલ દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીની તમામ સ્ટ્રીટ લાઈટો પાછલા ઘણા દિવસોથી બંધ છે. આ રોડ પર પંચમુખી ઢોરા, વિસ્તાર ભવાની નગર વિસ્તાર અને ક્રિષ્ના સુનિલ નગર હિતના વિસ્તારો આવેલા છે. સાથે જ આ રોડ પર વહેલી સવારે અને મોડી સાંજના લોકો પણ ચાલવા માટે નીકળતા હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાને કારણે રોડ પર અંધારામાં લોકો ગોથા મારી રહ્યા છે. જ્યારે શહેરના સરા રોડ ઉપર દિવસે એટલે કે ચોવીસ કલાક લાઈટ ચાલુ જોવા મળે છે. જેને દિવસે બંધ કરવા પણ પાલિકા પાસે ટાઈમ નથી? વોર્ડ નંબર સાતના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે પાલીકામાં ઘણીવખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ નિંભર પાલિકાતંત્ર લોકોની સુખાકારી વધારવાને બદલે પોતાની સુખાકારી કેમ વધે છે. તેમાં વધુ ધ્યાન આપતું હોય એવું હાલ તો લાગી રહ્યું છે. વધુમાં, ચીમકી ઉચ્ચારતા એ પણ કહ્યું હતું કે આવતા પાંચ દિવસમાં જો ધ્રાંગધ્રા રોડ પરની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને સાથે લઈ પાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવશે. ધ્રાંગધ્રા રોડ પરની બંધ રહેલ સ્ટ્રીટ લાઈટ બાબતે પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઈટનો કેબલ બળી ગયો છે. તેમજ સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા. તેમા પણ નીચે આરસીસી તૂટી ગયું હોય જેના કારણે બદલાવવાના હોય. જેથી, ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે હાલ ટેન્ડર પણ અપાઈ ગયું છે. બસ હવે નજીકના દિવસોમાં જ ધ્રાંગધ્રા રોડ પરની સ્ટ્રીટલાઇટો ચાલુ થઇ જશે તેમ જણાવ્યું હતું.