મોરબીમાં માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ચાલતી મા મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળાના બાળકોના પરિવહન માટે વાન અર્પણ કરાઈ મોરબી : મોરબીમાં ચાલતી મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળાના બાળકોને શાળાએ જવા માટે વાહનની વ્યવસ્થા નહતી ત્યારે આ બાબત અજય લોરીયાના ધ્યાનમાં આવતા તેમણે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પાટીદાર નવરાત્રીમાં સવજીભાઈ બારૈયા અને પ્રમોદભાઈ વરમોરાના સૌજન્યથી સ્કૂલ વેન અર્પણ કરવામાં આવી હતી. દાતાઓની આ દિલેરીને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટક, મિતલબેન કૈલા, મયુરીબેન ટીલવા, નેહાબેન વગેરે દિવ્યાંગ બાળકોના શિક્ષિકાઓએ વધાવી લીધી હતી અને આભાર પ્રગટ કર્યો હતો. મહત્વનું છે કે, મોરબીમાં વર્ષ ૨૦૦૬થી મનો દિવ્યાંગ બાળકો માટે મા મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા ચાલે છે. જેમાં 45 જેટલા મનો દિવ્યાંગ બાળકોનું લાલનપાલન પોષણ કરવામાં આવે છે, સવારે 8.00 વાગ્યાથી આ બધા જ બાળકો પોતપોતાની વાહનની વ્યવસ્થા કરી શાળાએ આવે છે. ત્યાં સવારે પગના તળિયે ગાયના ઘી થી માલિશ કરવામાં આવે છે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે અને બાળકોને જીવન કૌશલ્યો શીખવવામાં આવે છે. દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે, આ મેન્ટલી ચેલેન્ઝ બાળકોને અક્ષર જ્ઞાન, રંગપુરણી, ચિત્રકામ એબેકસ પ્રવૃત્તિ,વાંચન,લેખન ગણન વગેરે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રોજ બરોજની દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરવી? એ શીખવવામાં આવે છે. બપોર સુધી આ બધા જ બાળકો જીવનના પાઠ ભણે છે જેથી બાળકો પોતાના ઘરના એક ખૂણામાં પડી ન રહેતા સમાજ વચ્ચે આવી માનભેર જીવન જીવી શકે એવા પ્રયત્નો કરે છે, સ્વતંત્ર દિન,પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરે છે, ત્યારે આ બાળકોના પરિવહન માટે શાળાએ આવવા જવા માટે વ્યવસ્થા નહતી. જે પાટીદાર નવરાત્રી દ્વારા બાળકોને શાળાની વાન અર્પણ કરીને જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે.