રવાપર, મહેન્દ્રનગર, આંદરણા, જુના મકનસર ગામે પાણીના અભાવે લોકોની હાલત દયનિય મોરબી : મોરબી તાલુકાના લોકો પાણી પ્રશ્ને પીડાઈ રહ્યા છે. ખાસ કરીને રવાપર, મહેન્દ્રનગર, આંદરણા, જુના મકનસર ગામે પાણીના અભાવે લોકોની હાલત દયનિય બની છે. ત્યારે તાલૂકા ભાજપ દ્વારા આ અંગે જિલ્લા પ્રભારીને રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવાઈ છે. મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ જિલ્લા પ્રભારીને રજુઆતમાં જણાવ્યું કે રવાપર ગામે વર્ષ ૨૦૧૧ પ્રમાણે ૧૨૨૦૬ની વસ્તી છે. આ વિસ્તાર શહેરની અતિ નજીક હોવાથી દર વર્ષે વસ્તીમાં ભારે વધારો થતો જોવા મળે છે. હાલ અંદાજે ૪૦ હજારની વસ્તી છે. જે પાંચ વર્ષમાં એક લાખ સુધી પહોંચે તેવો અંદાજ છે. ત્યારે રવાપર ગામ માટે ખાસ યોજના બનાવીને પાણીની મુશ્કેલી દૂર કરવી જોઈએ. આજ રીતે મહેન્દ્રનગર ગામે પણ આ પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર જણાય છે. વધુમા જણાવાયું કે પાનેલી અને આંદરણા ગામે બોર આધારિત પીવાના પાણીની વ્યવસ્થા છે. પરંતુ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. ત્યારે આ મામલે પગલાં લેવા. જુના મકનસર રેલવે ક્રોસિંગ બાદ દેવીપૂજકવાસમા આશરે ૩૦ ઘર એવા છે જેને પાણી મળતું જ નથી. તેઓને બોર અને ટાંકીની વ્યવસ્થા કરી આપવાની માંગ છે.