મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામના હરિકૃષ્ણધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબી, ધ્રાંગધ્રા અને હળવદ હોસ્પિટલ અને કોવિડ સેન્ટરના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામા આવ્યું હતું. અમદાવાદ-કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ 'પર્વ' નિમિત્તે હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં આવેલ હરિકૃષ્ણધામે તા. ૫ થી ૯ મે દરમિયાન ૧૩મી હરિ જ્ઞાન શિબિરનું આયોજન ચાલી રહ્યું છે. તેની અંતર્ગત સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજને 1600 કિલોથી પણ વધુ ફળોની હાટડી ભરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ હાટડીમાં મુખ્યત્વે સફરજન, નારંગી, મોસંબી, ચીકુ, કેરી, નારિયેળ વગેરે ફળોથી હાટડી પૂરી હતી. અને ભગવાનને ધરાવેલ આ તમામ ફળો મોરબીની સિવિલ હોસ્પિટલમાં તથા હળવદમાં સરકારી દવાખાનામાં, ઘાંચીની વાડી કોવીડ સેન્ટરમાં તથા ઉમા કન્યા છાત્રાલય કોવીડ સેન્ટરમાં તથા ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં અને સંસ્કાર ધામ ગુરુકુલ-ધ્રાંગધ્રા કોવિડ સેન્ટરમાં વગેરે સ્થળોએ કોરોના અસરગ્રસ્ત દર્દીઓને સંતો દ્વારા પ્રસાદીરૂપ ફ્રુટ વહેચવામાં આવ્યું હતુ. ફળરૂપી પ્રસાદનું વિતરણ કરવા માટે હરિકૃષ્ણધામેથી સંતોએ તથા શનિ સભાના સ્વયંસેવકોએ દર્દીની રૂબરૂમાં સારસંભાળ લઇ આશ્વાસન અને હૂંફબળ પૂરા પાડ્યા અને તેમનું સ્વાસ્થ્ય વહેલાસર સારું થાય તે માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી. આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના ખૂબ રૂડા આશીર્વાદ, અ.નિ.પ.પૂ.સદ્. વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા, પ.પૂ. તપોમૂર્તિ સદ્. ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન તથા સંંતો અને હરિભક્તોની તન-મન-ધનની સેવાથી પરિપૂર્ણ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણધામ દ્વારા સમયની જરૂરિયાત પ્રમાણે ચપ્પલ વિતરણ, જેકેટ અને ધાબળા વિતરણ, મચ્છરદાની વિતરણ, અનાજ વિતરણ, ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક દવા વિતરણ, ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાદાન વગેર જેવી સામાજિક સેવાઓ અવિરતપણે ચાલુ રહેતી હોય છે.