શિક્ષક સંઘની કાર્યપ્રણાલી સામે શિક્ષકો લાલઘૂમ, સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવાયો મોરબી : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજનાર શિક્ષક સંઘના અધિવેશન અને મોરારી બાપુની રામકથા માટે પગારમાંથી હજાર - હજાર રૂપિયા કાપવાનો આદેશ કરતા શિક્ષકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. હાલ શિક્ષકો સોશ્યલ મીડિયા દ્વારા શિક્ષક સંઘ દ્વારા થતા ઉઘરાણા બાબતે ચણભણાટ અને ગણગણાટ પણ શરૂ કર્યો છે. રાજ્યના શિક્ષક સંઘ દ્વારા આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજનાર શિક્ષક અધિવેશન માટે હજાર - હજારનો ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે અને આ માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 10 ફેબ્રુઆરી 2023 ના રોજ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને આદેશ કરેલ છે કે શિક્ષક સંઘના અધિવેશન માટે વિદ્યાસહાયક દિઠ રૂપિયા 500/- અને રેગ્યુલર શિક્ષકો દીઠ 1000/- રૂપિયા પગારમાંથી કાપીને જમા કરવા માટેની કાર્યવાહી કરવા જણાવેલ એના આધારે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કરતા શિક્ષકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. વધુમાં શિક્ષકો સોસિયલ મિડીયામાં આક્રોશ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે, શિક્ષકોના કોઈ કામ કરવા નથી. શિક્ષકો બદલી માટે છેલ્લા એક વર્ષથી તલસી રહ્યા છે, શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે 40 ડીગ્રી તાપમાનમાં આંદોલન કર્યા છતાં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ વર્ષ 2005 પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરાવી શક્યા નથી અને સમગ્ર રાજ્યના દોઢ લાખ જેટલા શિક્ષકો પાસેથી 1000 રૂપિયા ઉઘરાણા કરી દશ કરોડ જેટલા રૂપિયા ભેગા કરી સંઘ શું કરવા માંગે છે? વધુમાં રોષ સાથે શિક્ષકો જણાવી રહ્યા છે કે, હજુ તો સંઘના હોદેદારો શિક્ષકોના ખર્ચે કમ્બોડીયા દેશનો પ્રવાસ કરી આવ્યા ત્યાં વળી આ બીજું ભૂત જાગ્યું. શિક્ષકો શિક્ષણ વિભાગ સામે પણ આંગળી ચીંધી રહ્યા છે કે કોઈ સંગઠનના અધિવેશન માટે આવો પત્ર શા માટે કરવો જોઈએ? વગેરે બાબતો સામે શિક્ષકો સોસિયલ મીડિયામાં આકોશ વ્યક્ત કરી રહ્યા છે ગણગણાટ અને ચણભણાટ કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.