મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન (પંચાયત વિભાગ) દ્વારા બુલડોઝર ફેરવવાનું કરાયું શરૂ : 70 દુકાનોના છાપરા, 50 હોર્ડિંગ અને 112 કાચા પાકા બાંધકામો તોડીને હટાવી લેવાશેમોરબી : મોરબીમાં મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ ચાલવાની છે. જેમાં 7 કિમીના રોડને દબાણ મુક્ત બનાવી દેવામાં આવશે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે ગત તા.9 અને 13 જાન્યુઆરીના રોજ દબાણ કર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ રોડ ઉપર દબાણો હટ્યા નથી. હવે આ રોડ પહોળો કરવાનો હોવાથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે નોટિસો આપવામાં આવી એટલે મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ તેમનાથી જેટલા દબાણ દૂર થઈ શકતા હતા એટલા દબાણ દૂર કરી નાખ્યા છે. જેને દબાણો દૂર નથી કર્યા એવા 112 આસામીઓનું દબાણ હટાવવામાં આવશે. અહીં લખધીરપુર ચોકડીથી લખધીરપુર ગામ સુધીના 7 કિમીના રૂટ ઉપર બે દિવસ દબાણ હટાવ ઝુંબેશ ચાલશે. જેમાં 70 દુકાનોના છાપરા, 50 હોર્ડિંગ અને 112 કાચા પાકા બાંધકામો તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં હવે ઘૂંટુ રોડ, લીલાપર રોડ સહિતના રોડ ઉપર પણ દબાણ હટાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.