મોરબી : ખેવાળીયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મચ્છુ 2 કેનાલનું લિપ ઇરિગેશનનું કામ ઝડપથી પૂર્ણ કરવા અંગે મચ્છુ 2 સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવેલ છે કે મોરબી તાલુકાનાં ખેવાળિયા, ખાખરાળા, ગોરખીજડીયા, જેપુર, મોડપર, બગથળા, નારણકા, વનાળિયા, નાની વાવડી, બિલિયા, વિગેરે ગામો મા પાક વાવેતર માટે મચ્છુ 2 કેનાલ દ્વારા ખેતરોને પાણી પૂરું પાડવામાં આવે છે. વધુમાં, લોકડાઉન પહેલા લિપ ઇરિગેશનનું આ કામ ચાલુ હતું. તે લોકડાઉનના કારણે બંધ કરવામાં આવેલ છે પરંતુ હાલ સરકારની સૂચના મુજબ તા. 20થી ફેક્ટરીઓ/વાણિજ્ય/બાંધકામ શરૂ કરવાની શરતી મંજૂરી આપવામાં આવેલ છે. તેથી, લિપ ઇરિગેશનનું બાકી રહેલ કામ તાકીદે પૂર્ણ કરાવવામાં આવે તો ખેડૂતોને કપાસ તથા અન્ય પાકોના વાવેતર માટે પાણી આપી શકાય તે હેતુથી લિપ ઇરિગેશનનું કામ ઝડપથી શરૂ કરાવવા અનુરોધ કરાયો છે.