સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત મોરબી : મોરબીમાં સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી મારફત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભારત સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત ચાલતુ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની વર્ષ ૨૦૨૧/૨૨ પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા તા.૧૦ જૂનથી શિક્ષણ સત્ર શરૂ કરવામા આવ્યું છે ત્યારે ગરીબ અને વંચિત બાળકો રાઈટ ટૂ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળામાં ધો.૧ થી ૮ સુધી મફત પ્રવેશ મેળવીને પોતાનું શિક્ષણ મેળવે છે. ત્યારે હાલ રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત સરકાર દ્વારા હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવી ના હોય ગરીબ અને વંચિત બાળકોને તાત્કાલિક કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવાની ફરજ પડી છે. કોરોના મહામારીના સમયમાં તેમને બિન જરૂરી પ્રવેશ ફી, શાળા ફી, યુનિફોર્મ ફી ખર્ચ કરવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સમતા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને વંચિત બાળકોના રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની કામગીરી વિના મૂલ્યે કરવામાં આવે છે. આ વર્ષે આ પ્રવેશ પ્રક્રિયામાં લેટ થયું હોય સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠનના સભ્યો દ્વારા સરકાર તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયાની કામગીરી કરે તેવી માંગ કરાઈ છે.