કોંગ્રેસના અગ્રણીએ મામલતદારને રજુઆત કરી મોરબી : વિકાસથી જોજનો દૂર રહેલા માળીયા પંથકમાં દર ચોમાસે પુરની મોટી દહેશત સતાવે છે. ગયા વર્ષે મચ્છુ નદીમાં પુર આવતા માળીયા પંથકમાં તબાહી સર્જાઈ હતી. આથી હાલ ચોમાસુ ચાલી રહ્યું હોય ત્યારે સંભવિત વધુ વરસાદથી પુરનો ખતરો માળીયા પંથક ઉપર તોળાઈ રહ્યો છે. આથી પાણી પહેલા પાળ બાંધવાની માગણી ઉઠી છે. માળીયા મિયાંણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ જેડાએ મામલતદારને રજુઆત કરી હતી કે અગાઉ માળીયા પંથકની ગરીબ જનતાને આરોગ્ય સુવિધાઓ આપવા માટે માં કાર્ડ, આયુષમાન કાર્ડ, હેલ્થ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ વગેરે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2017, 2019 અને 2020 માં ઉપરવાસ ભારે વરસાદથી મચ્છુ નદીમાં પુર આવ્યું હતું. આથી મચ્છુ નદીના કાંઠે વસેલા માળીયા પંથકને પુરના પાણીએ ધમરોળી નાખ્યું હતું. આ પુરમાં લોકો માટે સરકારી કચેરીમાં રહેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો નાશ થઈ ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, માં કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો પુરમાં ધોવાઈ જતા લોકોને સરકારી યોજનાનો લાભ લઇ શકતા નથી. હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની હોવાથી ગરીબ વર્ગને માં કાર્ડની સુવિધાઓ આપવાની માંગ કરી હતી. તેમજ માળીયા પંથકને પુરની કાયમી આફતમાંથી ઉગારવાની માંગ કરી હતી.