જુના ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવાનને છરીના 10 ઘા ઝીકયા હતા, યુવાનનું મોત થતા રેલવે પોલીસે 307ની કલમમાં હવે 302ની કલમ ઉમેરી આઠ આરોપીની ધરપકડ કરી મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી યુવાનને આઠ શખ્સોએ છરીના દસ જેવા આડેધડ ઘા ઝીકીને જીવલેણ હુમલો કરતા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. યુવાનનું મોત થતા રેલવે પોલીસે 307ની કલમમાં હવે 302ની કલમ ઉમેરી આઠ આરોપીની ધરપકડ કરી હતી. મોરબી રેલવે પોલીસના અધિકારી પ્રવણકુમારસિંઘ અને જમાદાર અશ્વિનભાઈએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે,મોરબીના શનાળા રોડ પર આવેલ મુરલીઘર હોટલ પાછળ રહેતા પપ્પી નાગજીભાઈ વિકાણી ઉ.વ.25ને ગત તા.16ના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ સહિતના શખ્સોએ આડેધડ દસ જેટલા છરીના ઘા ઝીકી દીધા હતા. આથી આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પપ્પી નાગજીભાઈ વિકાણી ઉ.વ.25ને તાકીદે રાજકોટ સારવાર અર્થે ખસેડાયા બાદ આજે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જો કે જે તે સમયે મૃતકના ભાઈ વિક્રમભાઈની ફરિયાદના આધારે કલમ 307 હેઠળ જીવલેણ હુમલાનો ગુન્હો રેલવે પોલીસમાં નોંધાયો હતો. આજે યુવાનનું મોત થતા 302ની કલમ ઉમેરી હત્યા કરનાર આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ, સવાણું ઉર્ફે શંકર સલાટ, નવઘણ સલાટ, રાજુ લાલાભાઈ ભરવાડ, રાજેશ ઉર્ફે ભાદો સલાટ, અર્જુન કાલાભાઈ સલાટની રેલવે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.