મોરબી : ગુજરાત સરકાર દ્વારા આજથી રાત્રી કરફ્યુનો સમય ઘટાડીને રાત્રીના 9થી સવારે 6 કરવામાં આવ્યો છે. જે અંગે ગૃહવિભાગ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની અમલવારી તા.28 મે રાત્રીના 9 વાગ્યાથી તા.4 જૂન સવારે 6 કલાક સુધી કરવામાં આવનાર છે. બીમાર વ્યક્તિ, સગર્ભા, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર જવરની છૂટ રહેશે. મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસટી કે સિટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રી કરફ્યુના સમયગાળામાં લગ્ન યોજી શકાશે નહિ. આવશ્યક સેવા સાથે સંકળાયેલા નાગરિકો, અધિકારીઓ કે કર્મચારીઓને અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રીપશન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી કે કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રાત્રી કરફ્યુ લાગુ છે તેવા શહેરોમાં નિયંત્રણો તમામ દુકાનો, વાણીજય સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ સવારના 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રાખી શકાશે. અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરો ( ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા, થિયેટર, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, જિમ, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી લેવાની રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજુરી રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ, એટીએમ/ સીડીએમ રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહિ. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટેશન મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. આ આવશ્યક સેવાઓ/ પ્રવૃત્તિઓ કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે કોવિડ 19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા સેવાઓ તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલ સેવાઓ મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ( ચશ્માની દુકાન સહિત) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ડેરી, દૂધ-શાકભાજી, ફળ- ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવા. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ કરીયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ. ઈન્ટરનેટ/ ટેલિફોન/ મોબાઈલ સર્વિસ પ્રૉવાઇડર/ આઇટી સબંધીત સેવાઓ. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, પીએનજીને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ. પોસ્ટ અને કુરિયર સર્વિસ ખાનગી સિક્યુરિટી સર્વિસ પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવાઓ તથા સારવાર સબંધીત સેવાઓ કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટેશન સેવાઓ તથા તેને સંલગ્ન ઇ કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે. અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ 19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે.