રસી આપવા માટે રાજયનું વહીવટી તંત્ર સુસજ્જઃ પ્રથમ તબક્કાનું લીસ્ટ તૈયાર: ઈમરજન્સીમાં રસીના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં પણ કરાશે-ઉપયોગ: નાયબ મુખ્યમંત્રીની રાહતરૂપ જાહેરાત મોરબી: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા વર્ષમાં મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહી. રસીનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે એવો વિશ્વાસ તેમણે નાગરિકોને આપ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉક્ત જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ઈમરજન્સી સમયે કોઈ દવા કે વેકસીન આપવા માટે વિશ્વમાં જે ટ્રાયલ રન થાય છે અને સફળ થયા હોય એને દુનિયાની મોટાભાગની સરકારો ઉપયોગ કરે છે. કોરોનાની રસી જેવી ઉપલબ્ધ બનશે કે તરત જ આ રસી રાજયના નાગરિકોને આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં આખરી ઓપ પણ આપી દેવાયો છે. આ માટે રાજયના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને પ્રાથમિક તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે એનુ લીસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે પ્રથમ તબકકામાં રસી આપવા માટે ગુજરાતની પસંદગી કરી છે એનું મોકડ્રીલ પણ રાજયમાં રાજકોટ અને ગાંધીનગર ખાતે કરી દેવાયું છે. વેકસીન આપવા માટે આરોગ્ય કર્મીઓને તાલીમ આપીને તાલીમબધ્ધ પણ કરી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે એમાં આરોગ્ય કર્મીઓ, ૬૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, ૬૦ વર્ષથી નચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવનાર છે.