15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી રોડ-રસ્તાના કામો ન થઈ શકે એવા સરકારી પરિપત્રને અવગણી ભર ચોમાસે ડામરકામ શરૂ કરાયું મોરબી : મોરબી શહેર ખાડાનગરી બની ગયા બાદ શહેરવાસીઓએ તંત્રને ટ્વીટર પર ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. જો કે હવે રહી રહીને શહેરના રોડ-રસ્તાઓ પર ડામર પાથરવાનું શરૂ થયું છે ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અરજણભાઈ કંઝારિયાએ પાલિકા પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારનો એક કાયમી પરિપત્ર છે કે દર વર્ષે 15 જૂનથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધી રોડ રસ્તાના કામો કરવા નહીં. કેમ કે આ સમયગાળા દરમ્યાન ચોમાસુ ચાલુ હોય છે. ભેજ વાળા વાતાવરણમાં કરેલું ડામરકામ લાબું ટકતું નથી. આમ છતાં પાછલા 3 દિવસથી મોરબીમાં ડામર પાથરવાનું કામ શરૂ થયું હોય આ રોડ-રસ્તાઓ માત્ર 31 દિવસનું આયુષ્ય ધરાવતા જ બની રહેશે. આમ પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવેલા ટેક્સના નાણાં વેડફાઈ જશે એ વાત નક્કી છે. રૂપિયા 7 કરોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનું જણાવી અંતમાં અરજણભાઈએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં પ્રજા અત્યારે કરેલા કામો પર પાણી ફરી વળેલું જોઈ શકશે.