મોરબી : મોરબીની સરસ્વતી શિશુમંદિર દ્વારા શિશુ ક્રીડાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.બાળકને દર અઠવાડિયે એક નવું રમકડું ની:શુલ્ક રમવા માટે આપવામાં આવશે.તેમજ શિશુ ક્રીડાલય અંગે મહત્વ સમજવામાં આવ્યું હતું. બાળકનો સર્વાંગી અને સમગ્ર વિકાસ કરવો અને બાળકનાં માધ્યમથી પરિવાર,સમાજ,રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરવા આ વિચારથી મોરબી શિશુમંદિરમાં શિક્ષણમાં નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં છે.વ્યક્તિ નિર્માણનું કાર્ય ગર્ભાધાનથી જ શરૂ થઈ જાય. જન્મથી લઈ અને ત્રણ વર્ષ સુધીમાં બાળક ધણુ બધુ શીખી લે છે. શીખવા માટે ઈશ્વરે આપણને જ્ઞાનેન્દ્રિય,કર્મેન્દ્રિય,મન,બુદ્ધિ,ચિત,અહંકાર આપ્યા છે.આ ઈશ્વરદાન સાધનોથી બાલ્યાવસ્થામાં આહાર,ઊંઘ,વ્યાયામનાં માધ્યમથી બાળકનું જીવન ઘડાય છે. વ્યાયામમાં શારીરિક ક્રિયાઓ સાથે રમતનું પણ બહુ મોટું યોગદાન છે. રમવામાં પણ બાળકોને રમકડાથી રમવું ખૂબ ગમે છે. કુદરતી રંગો જેવા કે લાલ, લીલો, પીળો, નારંગી, ગુલાબી રંગના રમકડાં બાળકોને ખૂબ ગમે, લાકડાના રમકડાં આરોગ્ય માટે સારા,મૃદુ-કોમળ-ઝાંઝરી જેવા અવાજવાળા રમકડાં ગમે, ટેડીબિઅરને બદલે ઢીંગલી થી રમવું ગમે, બંદૂકને બદલે ગદા,ધનુષ્ય,બાણવાળા રમકડાથી રમીએ તો પરાક્રમ વધે, માટી તથા લોટમાંથી બનાવેલાં રમકડાં અતિ સારા બને છે. રમકડાં માટે શુદ્ધ ભારતીય સંકલ્પનાને ધ્યાનમાં રાખી મોરબી શિશુમંદિરમાં તા.૨૬ને રવિવારનાં રોજ “શીશુ ક્રીડાલય” (રમકડાની લાઈબ્રેરી)નો પ્રારંભ થયો હતો. બાળકને દર અઠવાડિયે એક નવું રમકડું ની:શુલ્ક રમવા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જેના ઉદઘાટન સમારોહમાં જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ આ કાર્યને હદયથી બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા શિશુમંદિરો જ સમાજને સંસ્કારી બનાવી અપરાધ મુક્ત બનાવશે. મુખ્ય મહેમાન તરીકે મોરબી કોલ એસોશીએશનનાં પ્રમુખ જિજ્ઞેશભાઈ કૈલાએ સારા કાર્યમાટે શિશુમંદિરને સહયોગની ખાત્રી આપી હતી.વિદ્યાલયનાં ટ્રસ્ટનાં પ્રમુખ માં ડૉ.બાબુભાઇ અઘારા તથા ટ્રસ્ટનાં મંત્રી જયંતિભાઈ રાજકોટિયાએ મહેમાનોનું સ્વાગત તથા સમગ્ર કાર્યકર્મનું માર્ગદર્શન કર્યું. વિદ્યાલયનાં નિયામક સુનિલભાઈ પરમારે સંધ, વિદ્યાભારતી, શિશુમંદિરનો ઉદેશ્ય “ શિશુ ક્રીડાલય”નું શું મહત્વ છે તે સમજવ્યું હતું. વિદ્યાલયનાં વ્યવસ્થાપક હરકિશનભાઈ અમૃતિયાએ આભાર દર્શન કર્યું હતું.મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિએ અનુભવ કરાવ્યો કે પ્રત્યેક વાલી ઇચ્છે છે કે પોતાના બાળકનો સમ્યક વિકાસ થાય.