એક તરફ સ્વચ્છતા વિષયક રંગોળી અને બીજી તરફ ગંદકીથી ખદબદતા શૌચાલયો ટંકારા : હાલમાં ઠેરઠેર ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે તથા દિવાળીના તહેવારો નિમિત્તે ઘરે-ઘરે રંગોળીનું સુશોભન કરવામાં આવી રહ્યું છે. ટંકારા તાલુકા પંચાયતએ કચેરીના આંગણે દીવાળી નિમિત્તે તથા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે 'સ્વચ્છ ગામ, સ્વચ્છ દિવાળી' સૂત્ર સાથે ગાંધીજીએ આપેલા સ્વરછતાના સંદેશા અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી તિરંગામાં કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ તેવો અર્થ દર્શાવતી રંગોળી કરી હતી. પરંતુ આ સૂત્ર ટંકારાનું વહીવટી તંત્ર સાર્થક કરતુ નથી. ટંકારાની મામલતદાર કચેરીનું શૈચાલય ગંદકીથી ખદબદે છે. તેમજ અધૂરામાં પૂરું શૌચાલયનું બારણું પણ તૂટી ગયેલું છે. તેથી, કચેરીએ આવતા-જતા લોકો દુર્ગંધના કારણે હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આમ, ટંકારામાં તાલુકા પંચાયત કચેરીએ સ્વચ્છતાનો સંદેશ આપતી રંગોળી કરાય છે તો બીજી બાજુ મામલતદાર કચેરીનું શૌચાલય ગંદકીથી ભરેલું છે. આવા સમયે ટંકારા વહીવટી તંત્રની દોગલી નીતિ લોકો સામે ઉજાગર થઇ છે. જેથી, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.