ફરજ પરના તબીબ પાસે ઈ.એમ.ઓ.ની તેમજ ઈમરજન્સીમાં કોનો સંપર્ક કરવો તેની માહિતી જ નહતી (જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસના શંકાસ્પદ વ્યક્તિ આવે તો કેવી રીતે પહોંચી વળવું, તેના માટે કઈ રીતે કામગીરી કરવી, તેના માટે આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મોકડ્રીલમાં સિવીલ હોસ્પિટલ પ્રસાસનની પોલ ખુલી પડી ગઈ હતી. આજરોજ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત સવારે 11-15 કલાકે જીલ્લા આરોગ્યની ટીમ એક કોરોનાના શંકાસ્પદ દર્દીને લઈ સિવીલ હોસ્પિટલ ચેકઅપ માટે લઈ આવેલ હતી. અને તબીબ દ્વારા દર્દીને ચેકઅપ કરી એકસ-રે માટે સૂચન કરવામાં આવ્યું પરંતુ દર્દી એકસ-રે કરવાને બદલે સીધા ઘરે જતા રહ્યા હતા. છતાં કોઈએ ધ્યાન દોર્યું નહતું. વધુમાં, ફરજ પરના તબીબ પાસે ઈમરજન્સી મેડીકલ ઓફિસરનું નામ, કે નંબર જ ઉપલબ્ધ નહોતા અને ઈમરજન્સીમાં કોનો સંપર્ક કરવો તેની પણ માહિતી જ ન હતી. અંતે હોસ્પિટલ ના આર.એમ.ઓ. ડો. સરડવાએ આવી મોકડ્રીલ જાહેર કરેલ અને ઈમરજન્સી મેડીકલ ઓફિસરનું નામ અને નંબર આપ્યા હતા. જો કે આ મોકડ્રિલ બાદ સવાલ ઉઠ્યો છે કે મોકડ્રીલના બદલે જો ખરેખર શંકાસ્પદ દર્દી જતા રહ્યા હોત તો શું થયું હોત?