રોડ બનાવવાનો બાકી રાખી દેવામાં આવ્યો હોય, દરરોજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની રાવમોરબી : મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવાનો બાકી હોય જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. જેથી મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં સિરામિક એસો.ના પ્રમુખો મનોજભાઈ એરવાડિયા, હરેશભાઇ બોપલીયા, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણીયાએ જણાવ્યું છે કે, ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. જેના કારણે ટ્રાફિક નિયમન જળવાતું ન હોય અવાર નવાર અકસ્માતની પરિસ્થિતિ સર્જાય છે. આ રોડ પરથી સવાર / સાંજ મોરબી તથા આજુબાજુ ગામડાઓના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગકારો પસાર થાય છે. જેના કારણે કલાકો ટ્રાફિકના રસ્તામાં વેડફાઈ જાય છે. રોજે રોજની આ પરેશાનીથી મોરબી શહેરના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગપતિ તથા સાથે સંકળાયેલા સૌ કોઈ ત્રાસી જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે ત્વરિત આ આ રોડનું કામ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.