યંગ ઈન્ડિયા ગ્રુપના સહયોગથી રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તકનું વિતરણ કરાયું માળીયા (મી.) : માળીયા (મી.)માં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા ગ્રુપના સહયોગથી રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ માળીયા તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ વિનય વિદ્યા મંદિર- પીપળીયા ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયા એ સંગઠન મંત્ર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોની સ્વાગત વિધિ પ્રમુખ હરદેવભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા મિલનભાઈ પૈડાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, સંઘના કાર્યો, મહાસંઘની સ્થાપનાથી માંડી તમામ સંઘ પરિચય મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા કરાવવામાં આવેલ હતું. મુખ્ય વક્તા મિલનભાઈ પૈડા દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનની તમામ ગતિવિધિની બાબતો જણાવી ખૂબ સુંદર માહિતી આપી હતી. વધુમાં, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા સંકલિત તેમજ યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબીના સહયોગથી મોરબી જિલ્લાની અંદાજે 600 પ્રાથમિક શાળામાં કિશોરભાઈ મકવાણા દ્વારા રચિત રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તકના વિતરણનું જે આયોજન કરેલ એ અંતર્ગત માળીયા (મી.) તાલુકાની નમુનારૂપ પાંચ શાળાઓને મિલનભાઈ પૈડા, પ્રદીપભાઈ કુવાડિયા, હિતેશભાઈ પાંચોટીયા, રમેશભાઈ ચાવડા અને કે.કે.લાવડીયા દ્વારા આ પુસ્તક અર્પણ કર્યું હતું. કાર્યક્રમના અંતે તાલુકા મંત્રી સુનિલભાઈ કૈલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..