લોકોએ ગગનભેદી નારેબાજી સાથે તિરંગા લહેરાવ્યા : સમગ્ર શહેરીજનોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી : મોરબીમાં શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા માટે લોકોની સ્વયંભૂ રેલી નીકળી હતી. આ વિશાળ રેલીમાં ૨ હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં લોકોએ તિરંગા લેહરાવીને નારા પણ લગાવ્યા હતા. આ સાથે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં દેશના ૪૪ જવાનો શહિદ થયા હતા. ત્યારે દેશની સુરક્ષા કરતી વેળાએ પોતાના પ્રાણની આહુતિ આપી દેનારા આ શહીદ જવાનોને શ્રધાંજલિ અર્પણ કરવા મોરબીના નગરજનોએ સ્વયંભૂ વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં ૨૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં લોકોએ મોબાઈલની ફ્લેશલાઈટ સાથે પાકિસ્તાન હાય હાય, શહીદ જવાન અમર રહે સહિતના નારાઓ લગાવીને આભ ગુંજાવી દીધુ હતું. આ સાથે લોકોએ તિરંગા પણ લહેરાવ્યા હતા. આ વિશાળ રેલી નવા બસસ્ટેન્ડથી લઈને ગાંધી ચોક સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલીમાં સીરામીક એસોસિએશનના પ્રમુખ, તથા પદાધિકારીઓ, રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટયા હતા. સ્વયંભૂ રેલી સાથે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નગરપાલિકા સહિતના સંગઠનો અને સંસ્થાઓએ પણ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રધાંજલિ પાઠવી હતી.