શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે નવનિર્માણ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરાયું હળવદ : હળવદના શક્તિનગર ગામે આવેલ શ્રી નકલંક ધામ ખાતે નવનિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે અને સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કેન્દ્રના અને રાજ્યના મંત્રીઓ તેમજ ભાજપ અગ્રણીઓ સહીત સાધુ સંતો અને પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલ સીઆર પાટીલે જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજ હંમેશા ભાજપ સાથે જોડાયેલા સમાજ છે ભાજપ પક્ષે પ્રજાપતિ સમાજને સત્તામાં અને સંગઠનમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે. જેમ ખેડૂત અનદાતા છે તેમ પ્રજાપતિ સમાજ દ્વારા બનાવવામાં આવેલ માટલાથી લોકો પાણી પીવે છે. હાલની સરકાર પ્રજાપતિ સમાજના હિત માટે કાયમ અડીખમ તેમની સાથે ઉભી છે. આજે નકલંક ધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આઠથી વધુ જિલ્લાના પ્રજાપતિ સમાજના લોકો સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીપળીધામથી મહંતશ્રી વાસુદેવ બાપુ, સતાધારના મહંત વિજયબાપુ તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર ભાઈ મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા,સાંસદ મોહનભાઇ કુંડારીયા,વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,ધનજીભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતનાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નકલંક ગુરુધામના મહંત શ્રી દલસુખબાપુ, પ્રજાપતિ સમાજના અગ્રણી વાઘજીભાઈ, રમેશભાઈ અલકાબેન, અશોકભાઈ, બીપીનભાઈ પ્રજાપતિ(ટંકારા) સહિત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નકલંક ધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં સ્ટેજ તૂટ્યું હોવાની અફવા ફેલાઈ હતી જોકે હકીકતમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલ સ્ટેજ પરથી આવી રહ્યા હતા તે વેળાએ મીડિયા સાથે વાત કરે તે પહેલાં જ સ્ટેજની સીડી વધુ લોકોના વજન નથી કારણે ધસી ગઈ હતી જોકે જેમાં કોઈ લોકોને કાંઈ પણ ઇજા થઈ ન હતી.