બન્ને હતભાગી બાળકોની વારાફરતી લાશ મળી આવતા ખેતમજૂર પરિવારમાં અરેરાટી માળીયા : માળીયા તાલુકા જુના ઘાટીલા ગામ પાસેની નર્મદા કેનાલમાં સોમવારે બપોરે સગા ભાઈ બહેન ડૂબી ગયા બાદ આજે બન્ને હતભાગી બાળકોની વરાફરતી લાશ મળી આવતા ખેતમજૂર પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. કેનાલના કાંઠે ખેતમજૂર આદિવાસી પરિવારના આ બન્ને બાળકો ગઈકાલે બપોરે કેનાલના કાંઠે રમતા રમતા કેનાલમાં પડી જતા ડૂબી જવાથી આ કરુણ બનાવ બન્યો હતો. આ કરુણ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયાના ઘાટીલા ગામ નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી એક બાળકીની લાશ આજે તણાઈને મળી આવી હતી આથી ગામલોકોએ આ બાળાની ઓળખ મેળવવા માટે તપાસ ચલાવતા એક આદિવાસી મહિલાએ આવીને આ લાશ પોતાની પુત્રીની હોવાનું ઓળખી બતાવ્યું હતું.આ અંગે ગામલોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયાના ઘાટીલા ગામે આદિવાસી પરિવાર ખેતરમાં રહીને ખેતમજૂરી કરે છે.દરમિયાન ગઈકાલે આ આદીવાસી પરિવારના સગા ભાઈ બહેન અશ્વિન રિમજીભાઈ દુભીલ ઉ.વ.5 અને સુરેખાબેન રિમજીભાઈ દુભીલ ઉ.વ.3 નામના બાળકો સોમવારે બોપરના સમયે જુના ઘાટીલા ગામેથી નીકળતી નર્મદા કેનાલના કાંઠે રમતા હતા.તે સમયે રમતા રમતા આ બન્ને બાળકો કેનાલમાં પડી ગયા હતા અને કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. દરમિયાન આજે બહેનનો કેનાલમાંથી તણાઈને મૃતદેહ મળી આવ્યો હતો.અને તેની ડેડબોડી પીએમ અર્થે માળીયાનો હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બાળકીની લાશ મળી આવતા મૃતકની માતાએ પોતાનો પુત્ર પણ તેની સાથે રમતો હતો અને તે પણ ડૂબી ગયો હોવાની શક્યતા દર્શાવતા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી બાદમાં આ બાળકની લાશ પણ મળી આવી હતી.અને તેની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ખેતમજૂર પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.